Archive for March, 2008

ક્યાં ખબર છે ?

Posted in Navesar on March 29, 2008 by DR.MAHESH RAWAL

કોણ આગળ કોણ પાછળ, કયાં ખબર છે ?
ક્યાંસુધી લઈજાય અંજળ, ક્યાં ખબર છે ?

મેં ય ગાળ્યા વીરડા મારા ગજાનાં
કઈ વકલનું નીકળે જળ, ક્યાં ખબર છે ?

થઈ શકે છે આજ રસ્તે, લક્ષ્યપૂર્તિ
હોય નિશ્ચિત કઈ ઘડી-પળ, ક્યાં ખબર છે ?

શક્ય છે આંટી પડી હો ક્યાંક, વચ્ચે
કેટલાં ઉતરે-ચડે વળ, ક્યાં ખબર છે ?

પ્રજ્વલિત વેદી, કપૂરીશ્વાસ ઝળહળ
કઈ પળે હોમાય શ્રીફળ, ક્યાં ખબર છે ?

ઝંપલાવ્યું છે ફકત, તારા ભરોસે
કેટલું ઊંડું હશે તળ, ક્યા ખબર છે ?

સનસનાટી, કમકમાટી-રોજનું થ્યું !
શાંતચિત્તે શું મળે ફળ, ક્યાં ખબર છે ?

ડો.મહેશ રાવલ

નવેસર/૫૧

ઈતિહાસ બદલાવી શકે !

Posted in Navesar on March 26, 2008 by DR.MAHESH RAWAL

એક ક્ષણ ઈતિહાસ બદલાવી શકે
વિસ્તરણ ઈતિહાસ બદલાવી શકે !

હોય કેવળ સત્યનો આધાર તો
એક જણ ઈતિહાસ બદલાવી શકે !

યોગ્ય રીતે જો પ્રયોજ્યો હોય તો
શબ્દ પણ ઈતિહાસ બદલાવી શકે !

દબદબો અકબંધ હો સંબંધનો
તો, સ્મરણ ઈતિહાસ બદલાવી શકે !

થઈ જુઓ પ્રેમી, પછી સ્વીકારશો
પ્રેમ પણ ઈતિહાસ બદલાવી શકે !

તારવી’લ્યે જળ અને મૃગજળ અલગ
તો, હરણ ઈતિહાસ બદલાવી શકે !

શક્ય છે, ઓછી પડે આ જિંદગી
ત્યાં, મરણ ઈતિહાસ બદલાવી શકે !

મેળવી લેવાય જો ટાણાસમું
મેળવણ, ઈતિહાસ બદલાવી શકે !

હો ખુમારી પર્વતોનાં ધ્વંશનીં
તો, ઝરણ ઈતિહાસ બદલાવી શકે !

ડો.મહેશ રાવલ

નવેસર/૫૦

ખ્યાલ પણ આવ્યો નહીં !

Posted in Navesar on March 23, 2008 by DR.MAHESH RAWAL

ખુદ સવાલી થઈ જવાનો,ખ્યાલ પણ આવ્યો નહીં
એમ બદલી, કે હવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !

બે-ફિકર, બિન્દાસ્ત માણી તર-બ-તર લીલોતરી
પાંદડું પીળું થવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

રોજ નવતર રૂપ લઈ વીંટળાઈ ગઈ ઈચ્છા, મને
જાત અળગી રાખવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

વ્યસ્ત રાખ્યો એટલો દર્દોએ, આખી જિંદગી
કે અસરકારક દવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

ઝેરનું સૌભાગ્ય કે, હર આંખ ઝેરી નીકળી !
કોઈ મારણ યોજવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

પથ્થરોવચ્ચે અમે શોધ્યો સતત, ઈશ્વર તને
ફૂલમાં પંપાળવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

દેરને અંધેર ગણવામાં જ ખર્ચાણી સમજ
એ, ખુદા પર છોડવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !

ડો. મહેશ રાવલ

નવેસર/૪૯  

શબ્દપણ જડતાં નથી !

Posted in Navesar on March 20, 2008 by DR.MAHESH RAWAL

અંતની શરૂઆત લખવા, શબ્દપણ જડતાં નથી
રાત જેવી રાત લખવા, શબ્દપણ જડતાં નથી !

શક્ય છે, શબ્દોવગર ઉકલી શકે કિસ્સા નવા
પણ જૂની કોઇ વાત લખવા, શબ્દપણ જડતાં નથી !

થઈ શકે હસતાં જ રહેવાનો અભિનય, બ્હારથી
ભીતરી કલ્પાંત લખવા, શબ્દપણ જડતાં નથી !

અન્યની ચર્ચા હશે તો, ધોધ વહેશે શબ્દનો
ખુદ વિષે બે વાત લખવા, શબ્દપણ જડતાં નથી !

નામ, અમથું ક્યાં મળે છે કોઇપણ સંબંધને ?
તે છતાં, જઝબાત લખવા શબ્દપણ જડતાં નથી !

દુશ્મનો, નક્કી કરેલાં લક્ષ્ય બદલે નહીં કદી
દોસ્તના આઘાત લખવા, શબ્દપણ જડતાં નથી !

એ અલગ છે કે નડે છે અર્થની સીમા, છતાં
શબ્દની મિરાત લખવા, શબ્દપણ જડતાં નથી !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૮

વિચારી શકું છું

Posted in Navesar on March 17, 2008 by DR.MAHESH RAWAL

 વિચારોથી આગળ, વિચારી શકું છું
મળે એ બધી પળ, વિચારી શકું છું

ઉદય હોય તો, અસ્ત નિશ્ચિત્ત નથી શું ?
નિયમબધ્ધ સાંકળ, વિચારી શકું છું

ખબર છે, સમંદરની ઉત્કંઠઈચ્છા
નદીની ઉતાવળ, વિચારી શકું છું

કિનારો નથી માત્ર મારા પરિઘમાં
વમળનું બળાબળ, વિચારી શકું છું

મનુષ્યો જ રહી જાય છે માત્ર ભેદી
નહીંતર, બધાં છળ વિચારી શકું છું !

દુઆઓ જ કરશે બધા, ખાતરી શું ?
છતાં નામ દ્યો, ફળ વિચારી શકું છું !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૭
 

પાછા વળો !

Posted in Navesar on March 15, 2008 by DR.MAHESH RAWAL

લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો
નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો !

જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી
ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો !

આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !

ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !

ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !

આમ તો મારા હિસાબે, હાથ છે સંજોગનોં
તોય બીજું કોઇ કારણ હોય તો, પાછા વળો !

ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !

આટલાં વરસે ન શોભે, આમ તરછોડી જવું
સ્હેજપણ શેનું ય વળગણ હોય તો, પાછા વળો !

હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૬

ખાસ કારણ હોય છે !

Posted in Navesar on March 12, 2008 by DR.MAHESH RAWAL

અર્થના વિસ્તાર પાછળ, ખાસ કારણ હોય છે
હર ઉઘડતા દ્વાર પાછળ, ખાસ કારણ હોય છે !

હોય ઘટના આપણી, કે હોય કિસ્સો અન્યનો
બેયની ચક્ચાર પાછળ, ખાસ કારણ હોય છે !

સાવ અમથું ક્યાં હતું, આ શૂન્યનું હોવાપણું
હર નવા આકાર પાછળ, ખાસ કારણ હોય છે !

કોઇ અમથું કોઇને મળતું નથી, આ વિશ્વમાં
દુશ્મની કે પ્યાર પાછળ, ખાસ કારણ હોય છે !

એ ખરૂં કે, મોત સામે હારવાની જિંદગી
દરઅસલ એ હાર પાછળ, ખાસ કારણ હોય છે !

કોઇ માને દેરથી તો કોઇ વેળાસર, છતાં
સત્યનાં સ્વીકાર પાછળ, ખાસ કારણ હોય છે !

પુણ્ય કરતાં તો અધિક, પાપ નીકળે છે નિમિત્ત
ઈશ્વરી અવતાર પાછળ, ખાસ કારણ હોય છે !

જેમ સીધા કારણોસર થાય છે સ્વીકૃત કશુંક
એમ અસ્વીકાર પાછળ, ખાસ કારણ હોય છે !

ડૂબતો જીવ હોય છે તત્પર, તણખલું ઝાલવા
એટલાં આધાર પાછળ, ખાસ કારણ હોય છે !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૫

થઈ ગયા !

Posted in Navesar on March 8, 2008 by DR.MAHESH RAWAL

થીજી ગયા જો સ્વપ્ન,ઠંડાગાર થઈ ગયા
‘ને ઓગળ્યા, તો આંસુઓની ધાર થઈ ગયા !

મેં તો લખી’તી માત્ર મારી જિંદગી, અને
અકબંધ કિસ્સા અન્યના, પુરવાર થઈ ગયા !

અત્તર વિષે ચર્ચા થતી, કાને પડી હશે
ફૂલો, બગીચો ત્યાગવા તૈયાર થઈ ગયા !

પામ્યો નહીં જ્યાં લાગણી હું, રોઇ-રોઇનેં
ત્યાં અન્ય, હળવા હાસ્યથી સ્વીકાર થઈ ગયા !

નક્કી કરેલાં લક્ષ્યથી બહુ દૂર ક્યાં હતો ?
મારા હતાં, એ અન્યના આધાર થઈ ગયા !

કોણે દુઆની આડમાં, અવળી દુઆ કરી ?
સુખના પ્રસંગો, દર્દથી ચિક્કાર થઈ ગયા !

શ્રધ્ધા હજુ ય કેટલાં આશ્ચર્ય સર્જશે ?
અમથા ગણાતા શખ્સ પણ, અવતાર થઈ ગયા !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૪

પળવારમાં !

Posted in Navesar on March 6, 2008 by DR.MAHESH RAWAL

પ્રશ્ન, ઉત્તર થઈ શકે પળવારમાં
આત્મનિર્ભર થઈ શકે પળવારમાં !

એકરસ થઈ જાય રસ, ઓળખ પછી
જાત સધ્ધર થઈ શકે, પળવારમાં !

કાયમી ક્યાં કોઇ સમજૂતી હતી ?
મત-મતાંતર થઈ શકે, પળવારમાં !

છે ફકત ઓળંગવાનો ઉંબરો
બ્હાર, અંદર થઈ શકે પળવારમાં !

થઈ શકે તો, માત્ર શ્રધ્ધાથી થશે
કોણ ઈશ્વર થઈ શકે, પળવારમાં !

કોઇ લઈ’લ્યે ભેખ, થઈને જાણતલ
કોઇ, કાફર થઈ શકે પળવારમાં !

થઈ નહીં જે વાત, આખી જિંદગી
એ સવિસ્તર થઈ શકે, પળવારમાં !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૩

કોણ છે ?

Posted in Navesar on March 3, 2008 by DR.MAHESH RAWAL

ઉજવાય એવા પર્વનાં દુષ્કાળ વચ્ચે, કોણ છે ?
મોતીવગરની છીપમાં શેવાળ વચ્ચે, કોણ છે ?

નક્કર હથેળી ઓળખે તો,  ટાંકણાંને ઓળખે
દસ ટેરવા આગિયારમી ઘટમાળ વચ્ચે, કોણ છે ?

કોને ખબર કઈ રગ ગણાશે દુઃખતી, આગળ જતાં
આળી ત્વચા નીચે પ્રવાહિત કાળ વચ્ચે, કોણ છે ?

એ દ્વાર તો સધ્ધર હતું કાલે અને આજે ય છે
ઈતિહાસ બનતી ભવ્યતાની ભાળ વચ્ચે, કોણ છે ?

કંકાવટીની વંધ્યતા, કોને નપુંસક માનશે ?
અડધા સ્ખલન લઈ અવતરેલી ફાળ વચ્ચે, કોણ છે ?

સ્વાભાવિક જ ગણવું પડે ક્ષણનું મરણ -શું થઈ શકે?
નવજાત ક્ષણની આજીવન સંભાળ વચ્ચે, કોણ છે ?

મારા જ ઘરની ભીંતને લક્વો થયો, દુર્ભાગ્યવશ !
અડધા નકામા અંગની પંપાળ વચ્ચે, કોણ છે ?

એકાદ લીલું પાન તોડીને તરત, કાને ધરો
શબ્દો વગરની એ ગઝલની ઝાળ વચ્ચે, કોણ છે ?

વિસ્તારવા જેવો નથી, આ જિંદગીનાં અર્થને
એ સ્નિગ્ધતા લઈને ટપકતી લાળ વચ્ચે, કોણ છે ?

ડો.મહેશ રાવલ

(શ્રી સુરેશ દલાલના ઐતિહાસિક સંપાદન “બ્રુહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ”માં સમાવિષ્ટ ગઝલ)

નવેસર/૪૨