તો નીકળજે !

ફૂલોની વાત લઈને નીકળાય,તો નીકળજે
સધ્ધર મિરાત લઈને નીકળાય, તો નીકળજે
ટહૂકાનો રંગ લીલો સચવાય એવી, ઝરમર
ભીની ઓકાત લઈને નીકળાય, તો નીકળજે !
એકાંતે કોણ આવે ? ભરચક ભરી જો, હરપળ
ઉજળી વિસાત લઈને નીકળાય, તો નીકળજે !
સપનાંથી એક ડગલું આગળ વધી, વિહરવા
નોંખી નિંરાત લઈને નીકળાય, તો નીકળજે !
ખાલીપો ખોતરીને ખંખેર – ખરશે અવઢવ
અજવાળી રાત લઈને નીકળાય, તો નીકળજે !
આકાશી રંગ આંજી, રંગીન પગલે-પગલે
અદકેરી જાત લઈને નીકળાય, તો નીકળજે !
વિસ્તારી જો નવેસર સંબંધ તારો, ખુદથી
ભીતરની વાત લઈને નીકળાય, તો નીકળજે !
ડો.મહેશ રાવલ
નવેસર/૯૯
January 12, 2009 at 12:10 pm
ફરી એકવાર મજેદાર ગઝલ…
ફૂલોની વાત લઈને નીકળાય,તો નીકળજે
સધ્ધર મિરાત લઈને નીકળાય, તો નીકળજે
-સુંદર વાત…!
પણ ઓકાત કાફિયામાં છંદ તૂટતો લાગ્યો….
January 12, 2009 at 1:36 pm
ખાલીપો ખોતરીને ખંખેર – ખરશે અવઢવ
અજવાળી રાત લઈને નીકળાય, તો નીકળજે !
વાહ્
સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો,
હું તો સ્મરણે સમાઈ જીવું છું.
January 12, 2009 at 4:42 pm
વિસ્તારી જો નવેસર સંબંધ તારો, ખુદથી
ભીતરની વાત લઈને નીકળાય, તો નીકળજે !
ખૂબ સુંદર ગઝલ !
જાત સાથે જે ખૂબ પ્રેમ કરી શકે તે જ ભીતરની વાત બીજાને કહી શકે !
ખૂબ સરસ વાત કહી.
http://www.aasvad.wordpress.com
January 12, 2009 at 4:56 pm
સદી તરફ આગળ વધતા નવેસરે ફરીથી પોઝીટીવ એપ્રોચ સાથે જીવનની પ્રત્યેક પળને માણવાની, નિભાવવાની વાત કરી. ગમ્યું. નીકળાય તો નીકળજે એ ભાવ જ પ્રેમપૂર્વકનું આહવાન પ્રગટ કરે છે. સુંદર ગઝલ.
September 20, 2009 at 2:52 pm
આજે ઘણી ગઝલો અહીં એકી સાથે વાંચી. ખૂબ ખૂબ અભિનંદન…સુન્દર ગઝલો….